વળી આજના ઝડપી જમાનામાં સમયને અભાવે લોકો પંક્તિમાં બેસીને જમવા કરતાં ઊભા ઊભા બુફે જમવાની રુચિ ધરાવતા થઈ ગયા છે એટલે સાહિત્યમાંથી લાંબા લેખો ને મોટી નવલકથાઓ વાંચવા કરતાં નાની અને ટૂંકી વાર્તાઓ વાંચવાનું વધુ પસંદ કરે છે. એથી આ ‘સત્સંગ સૌરભ નાની પુસ્તિકામાં જમાનાની માગને અનુરુપ નાની તેમ છતાં પ્રેરણાદાયી વાતોનો સંગ્રહ ઘણી વિશિષ્ટતા ધરાવે છે.
સંપ્રદાયના સાહિત્ય સાગરમાં અપાર ને અણમોલ પ્રસંગરત્નો ભર્યાં પડયાં છે. જેને લોકભોગ્ય ભાષામાં રજૂ કરવાનો સ્વામી લક્ષ્મીનારાયણદાસજીએ ગુરુકૃપાથી પ્રાપ્ત પોતાની આગવી સૂઝના સહારે પ્રયાસ કર્યો છે જે આ પુસ્તિકા વાંચતા તુરત જણાઈ આવશે.
''સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે.'' ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના આ અનુપમ ઉદ્ગારો અનુસાર આ પુસ્તિકાનું વાચન તેમજ અનુસરણ સહુ જિજ્ઞાસુ ને ભાવિક ભક્તજનોના અંતરમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રતિ અનુરાગ અને ગૌરવ વધુ દૃઢ કરાવે એવી શ્રીહરિના પુનિત ચરણોમાં પ્રાર્થના.