અનેકવિધ લીલાઓના માધ્યમથી ભક્તોને અનંત સુખ આપવા સાથે ભાગવત ધર્મની સ્થાપનાર્થે સ્વયં પરમાત્મા શ્રીહરિ ગઢડા, લોયા આદિ સ્થાનોમાં સંતો ભક્તો મધ્યે વિરાજી પરમ આધ્યાત્મિક જ્ઞાનને વરસાવતા રહ્યા. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી વગેરે તત્કાલિન નંદસંતોએ એ જ્ઞાનને ઝીલીને ગ્રંથસ્થ કર્યું.
ગુજરાતી ગદ્યભાષામાં રહેલા વચનામૃતને શ્રીહરિના સમયમાં જ સદ્. શ્રી શતાનંદ સ્વામીએ ૧૨,૦૦૦ સંસ્કૃત શ્લોકમાં ગૂંથીને સુધાસિંધુ નામે ગ્રંથની રચના કરી અલૌકિક કાર્ય કર્યું.
આ ઉપરાંત શીઘ્રકવિ સદ્. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ ગદ્ય વચનામૃતની વ્રજભાષામાં પદ્ય રચના કરીને અનેરી ભેટ આપી.
ગદ્ય સાહિત્ય વિશેષ બૌદ્ધિક સ્તર પર અસરકારક અને ઉપયોગી બની રહે છે અને વકતૃત્વથી વ્યક્ત થાય છે જ્યારે પદ્ય સાહિત્ય હૃદયના સ્તર પર ભાવાત્મક રીતે અસરકારક થાય છે અને ગીત- સંગીત તથા નૃત્ય રૂપે વ્યક્ત થાય છે.
વચનામૃતને આગામી ૨૦૧૯માં ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઇ અનેકવિધ જ્ઞાનમય કાયક્રમોની યોજના વચ્ચે વચનામૃત ગ્રંથની ગુજરાતી પદ્યમાં રચના થાય તો હજારો ભક્તો હૃદયની ભાવભંગીમા તેમજ ગીત-સંગીત નૃત્ય સાથે વચનામૃતનના ભાવને વ્યક્ત કરી શકે. તે માટે પ.પૂ.ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સહ ગુરુકુલ પરિવાર દ્વારા વચનામૃત ગ્રંથને પદ્યમાં આલેખન અને ગાનરૂપે કંડારવાની ભાવના કરી.
આટલા મોટા ગ્રંથનું પદ્ય આલેખનમાં કોણ નિમિત્ત બને એ વિચારતા થકા જેઓને શ્રીહરિ અને સંતોની કૃપાથી શીઘ્ર કવિત્વ લેખન અને શ્રીઠાકોરજીની શૃંગારકળા પ્રાપ્ત થઇ છે એવા સાધુતામૂર્તિ પૂજારી શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામી પર આ કાર્યનો કળશ ઢોળાયો. સદા રાજીપાના યાચક તેઓશ્રીએ પણ આ આલેખન શરૂ કરી છેલ્લા ચાર મહિનામાં વચનામૃતના બે ભાગનું આલેખન પૂર્ણ કર્યું.
પદ્ય આલેખનને સુસ્વરમાં રેકોર્ડીંગ માટે ભજનિક એવા પ.ભ. શ્રી અનંતરાય સુદાણીને સંતોએ નિમિત્ત બનાવ્યા. ગાન અને આલેખનને ગ્રંથના રૂપમાં પ્રકાશિત કરવા માટે સંગીત ક્ષેત્રે આગવી સૂઝ ધરાવતા શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ વિશ્વમંગલ આર્ટ વિભાગમાં ભગીરથ પ્રયાસ કરીને આ સેવાકાર્ય કર્યું છે.