મહાન આલોચકોએ બિહારીના શ્રેષ્ઠતમ દોહાઓના સંગ્રહ ‘બિહારી સતસઈ’ અંગે એટલું જ કહ્યું કે,
સતસૈયા કે દોહરે, જ્યો નાયક કે તીર
દેખનમેં છોટે લગે ઘાવ કરે ગંભીર.
આ તો રસિક કવિઓની વાત થઈ; પરંતુ શ્રીજીકૃત, ધર્મમર્યાદાના પાલક, શ્રીજી પ્રસ્થાપિત આચાર સંહિતાના આચરણથી દૃષ્ટાંતરૂપ, મૂકઆગ્રહી, ગુરુકુલના મહંત સ્વામી સદ્ગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ અ.નિ. પ.પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો રાજીપો મેળવી ગુણાતીત પરંપરાની શૈલીને જે સાહજિકતાથી કેળવી છે તે શૈલીનો લહાવો અલભ્ય અને અનુપમ છે.
આ શૈલીમાં લખાયેલા તેમના લેખો વાચતાં નિરંતર એવો અનુભવ થયા કરે છે કે જાણે પ્રત્યક્ષ તેમની સત્સંગ સભામાં બેઠા છીએ. ટૂંકા, સરળ, સુબોધ પરંતુ સચોટ એવા સારધાર વાક્યો આપણા હૃદય સોંસરવાં ઊતરી અને જીવ સાથે એવાં તો જડાઈ જાય કે આપણા જીવનનું ક્લેવર જ બદલી નાખે.
ભગવાનથી ઢુંકડું થતું જવાતું હોય તેવો અનુભવ થાય. વળી જેમાં કયાંય વ્યર્થ વિશેષણોની ભરમાર નહીં. ખોટા ઉત્તેજક આરોહ-અવરોહ નહીં. સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવનાર સાચો મુમુક્ષુ પણ સત્સંગ અને મોક્ષમૂલક જ્ઞાનની ગહન વાતો સમજી શકે તેવી સુગમ શૈલી. દરેક વાક્ય એવું તો ચોટદાર કે જે પંચવિષયના દોષરૂપી રોગો તો દૂર કરે પણ પથ્ય અને સુપાચ્ય બની રહે.
આવા લેખોને ગુણગ્રાહી ખપવાળા સત્સંગીઓના પ્રેમપૂર્ણ આગ્રહને વશ થઈ સત્સંગ સમુદાય સમક્ષ મૂકવાનો જે આ પ્રયાસ છે તે ખરેખર અતિ ઉપકારક બની રહેશે એ નિઃશંક વાત છે. આવા સંતોનો સમાગમ આપણને સદાને માટે મળતો રહે એવી ઈષ્ટદેવ શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના.