નાહં વસામિ વૈકુંઠે, નાહં યોગીનાં હૃદયે
યત્ર ગાયન્તિ મદ્ભક્તા:, તત્ર તિષ્ઠામિ નારદ ॥
જ્યાં મારા ભક્તો પ્રેમથી મારું સંકીર્તન કરે છે ત્યાં ભગવાન ઊભા રહી જાય છે. વળી શાસ્ત્રોમાં ભગવાનને ભજવાનાં કે પામવાનાં અનેક સાધનોમાં કળિયુગમાં કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માનવામાં આવી છે. નવધા ભક્તિમાં પણ બીજા ક્રમે કીર્તન ભક્તિ આવે છેે. સંગીતના માધ્યમથી કીર્તનો આપણને ભગવાનમાં જોડે છે.
ભગવાન સ્વામિનારાયણ પણ કીર્તન ભક્તિના આગ્રહી અને હિમાયતી હતા. તેમની માધુર્ય મૂર્તિને નેણે નીરખીને કેટલાક કવિ નંદ સંતોએ તેમને કીર્તનોમાં ગૂંથીને જે તે સમયે વ્રજભાષા, હિન્દી કે ગુજરાતી તળપદી ભાષામાં હજારોની સંખ્યામાં પદોની રચના કરી છે. અંતરમાંથી જગતના ભાવો દૂર કરી પ્રગટ પ્રેમભાવથી ગવાયેલાં આ પદો અદ્ભુત અને અજોડ છે. તેમાં સદ્.મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્.નિષ્કુળાનંદ સ્વામી, સદ્.પ્રેમાનંદ સ્વામી, સદ્. દેવાનંદ સ્વામી વગેરે મુખ્ય કવિ નંદ સંતો હતા.
સંપ્રદાયના સિદ્ધાંતોના પોષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટ ગુરુકુલની સ્થાપના કરીને અનેક ગ્ંરથોનું પ્રકાશન કરેલ છે. હાલમાં પણ ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સાહિત્ય પ્રકાશનની સેવા સરવાણી અવિરત વહેતી રહી છે. આ કવિ નંદ સંતોનાં કેટલાંક પદોને તેમના કાવ્ય ગ્રંથોમાંથી ચૂંટીને ‘રસિક રાગણી’ પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે. સુધારા વધારા સાથે આ સાતમી આવૃત્તિમાં 365 જેટલા પદોનો સમાવેશ કરવામાં આવેલ છે.