ભગવાન બાલ ઘનશ્યામે છપૈયા અને અયોધ્યામાં દિવ્ય તેમજ માનુષી બાલચરિત્રો વિસ્તારીને પોતાના પુરુષોત્તમપણાનો અનેક મુમુક્ષુઓને નિશ્ચય કરાવી એમનું કલ્યાણ કરેલ છે.
ભગવાનનાં લીલાચરિત્રો દૂધ જેવાં પૌષ્ટિક અને સુપાચ્ય છે. નાનાં મોટાં દરેક મુમુક્ષુને એ ગુણકારી અને સાથે સાથે સ્મરણીય પણ છે. બાલઘનશ્યામે તો અનેક ચમત્કારી ચરિત્રો વિસ્તારેલ છે. તેમાંથી આ નાના પુસ્તકમાં ‘સદ્વિદ્યા’ તંત્રી શ્રી સ્વામી લક્ષ્મીનારાયણદાસજીએ સંક્ષિપ્ત છતાં સુંદર અને રસાળ શૈલીમાં ૨૭ ચરિત્રો રજૂ કર્યાં છે. જેને વાગોળવાં બાળકોને જરૂર ગમશે. બાલ પ્રભુનો મહિમા સમજાશે. સુજ્ઞ વાલીઓ અને બાળમંડળોમાં આના વાંચનથી બાળકોમાં પ્રભુનિષ્ઠા દૃઢ થશે અને બાળક સંસ્કારી તેમજ વિનયી બનશે.
આ બાલચરિત્રોને બાળમાનસમાં ઉપસાવવા માટે પ્રસંગને અનુરૂપ રંગીન ચરિત્ર ચિત્રો પણ આ પુસ્તકમાં મૂક્યાં છે. જે આ પુસ્તકની આગવી વિશેષતા છે. આ છઠ્ઠી આવૃત્તિ સંપૂર્ણ ફોરકલરમાં તૈયાર કરીને સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવેલ છે.
અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરતા બાળકો માટે આવી જ રીતે ફોરકલરમાં અંગ્રેજી આવૃત્તિ પણ પ્રકાશિત થયેલ છે.