ભકિત અને શરણાગતિથી પ્રસન્ન થયેલા ભગવાન જીવાત્માનો મોક્ષ કરે છે. મોક્ષાભિલાષી મુમુક્ષુઓ સદાયને માટે સ્વામી એવા સર્વેશ્વરનું મુખ પ્રસન્ન કેમ થાય, તેવા જ અહર્નિશ પ્રયાસો કરતા હોય છે. ત્યારે શ્રીજી સમકાલિન નંદ સંતો મહારાજની સન્મુખ બેસી કીર્તનો, કડીઓ, સંસ્કૃત-શ્લોકોના માધ્યમથી શ્રીહરિની આરાધના કરતા.
ભકિતમાં રસતરબોળ કરતું માધ્યમ એટલે : “કીર્તન”
જ્ઞાનની ગંભીરતા સાથે શ્રીહરિની આરાધના કરતું માધ્યમ એટલે : “શ્લોક”
ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રેરણાથી સદ્.નિત્યાનંદ સ્વામી, સદ્.શતાનંદ સ્વામી, સદ્. અચિંત્યાનંદ બ્રહ્મચારી આદિ સંતોએ સંસ્કૃત ભાષામાં અનેક સ્તોત્રો તેમજ શ્લોકોની રચના કરી છે અને અદ્યાપિ પર્યન્ત નંદસંતો દ્વારા રચાયેલ સ્તોત્ર અને શ્લોકોનું ગાન સંતો, હરિભકતો, વિધાર્થીઓ કરતા હોય છે. પરંતુ અર્થાનુસંધાન સાથે શ્લોકોનું ગાન થાય, તો હ્ય્દયમાં શ્રીહરિનો મહિમા દિનપ્રતિદિન વધતો જાય છે.
આચાર્યશ્રી, સર્વે સંતો અને હરિભકતો રાજી થાય એવા શુભ હેતુથી સંપ્રદાયમાં ગવાતા તમામ સંસ્કૃત સ્તોત્રો અને શ્લોકો અનુવાદ સહિત આ પુસ્તકમાં સંકલિત કરેલ છે. તદુપરાંત વચનામૃતના તમામ શ્લોકો, સત્સંગિજીવન તેમજ ભાગવતની સુપ્રસિદ્ધ સ્તુતિઓ, પુરુષસૂકત, જનમંગલ તેમજ શરણાગતિ સ્તોત્ર(યામુનાચાર્ય દ્વારા રચિત), ભજગોવિંદમ સ્તોત્ર તદુપરાંત પ્રવચન કરનારા સંતો-ભકતો માટે ઉપયોગી એવા સારા સુભાષિતો અને સૂકિતઓનો સંગ્રહ પણ સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ સાથે આ પુસ્તકમાં સંકલિત કરેલ છે.
તમામ સંસ્કૃત સ્તોત્ર અને શ્લોકોનું સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ શ્રી ધર્મજીવન સંત પાઠશાળા (નવસારી) માં સંસ્કૃતનું અધ્યયન કરાવતા શાસ્ત્રી શ્રી સ્વરૂપદાસજી સ્વામીએ કરેલ છે. તેમજ પ્રુફ રીડીંગની સેવા પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરનારા સર્વે સંતોએ કરેલ છે. આ પુસ્તક તૈયાર કરવામાં ટાઇપિંગ તેમજ બુક સેટીંગની સેવા પૂ.વિશ્વસ્વરૂપ સ્વામી, પૂ.ધ્યાનપ્રિય સ્વામી, પૂ. સર્વનિવાસ સ્વામી તેમજ પાર્ષદ શ્રી જયદેવભગતે કરેલ છે.
આ પુસ્તકના પ્રકાશન કાર્યમાં સંતોના કૃપાપાત્ર સુરતના પ. ભ. શ્રી રાજેશભાઇ ભીખાભાઇ વઘાસિયા (હાલ : અમદાવાદ) નો સહર્ષ આર્થિક સેવા સહયોગ પ્રાપ્ત થયો છે.
આ પુસ્તક દ્વારા શ્રીહરિનો વિશેષ, નિરવધિક મહિમા સમજાય તે જ શુભ અભ્યર્થના...