નાનપણથી જ અતિ તેજસ્વી પ્રતિભા ધરાવતા અને યોગ ઐશ્વર્ય સંપન્ન એવા ખુશાલ ભટ્ટને ઘેર ભગવાન શામળાજી સખા બની રમવા આવે, બાળક ખુશાલ લોકોનું કષ્ટ નિવારવા વરસાદ વરસાવે, મૂંગાને બોલતા કરે, નાના બાળકોને સમાધિ કરાવે. એવા ખુશાલ ભટ્ટ ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થઈ ત્યાગાશ્રમ સ્વીકારી સત્સંગ અભ્યુદયમાં અજોડ ફાળો આપ્યો છે.
સત્સંગમાં દિવ્ય પ્રૌઢ પ્રતાપ દાખવી અનેકને શ્રીહરિના આશ્રિત બનાવ્યા છે. સારંગપુરમાં પ્રતાપી કષ્ટભંજન દેવ પધરાવી અને તેમાં અપાર સામર્થી મૂકી છે જે જગપ્રસિદ્ધ છે. અનેકને યોગ ઐશ્વર્યો બતાવી ભગવાનનો નિશ્ચય કરાવ્યો છે. જ્યારે ધરતી પરથી ભગવાન શ્રી સ્વામિનારાયણ અંતર્ધાન થવાના હતા ત્યારે સંત સભામાં કહેલું...
''સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળસ્વામીની આજ્ઞામાં રહેજો રે.''
આમ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહી તેમને બંને દેશના મધ્યસ્થી તરીકે પણ નીમ્યા. જેથી તેમની મહત્તાનો સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. પૂ. સ્વામીએ શ્રીજી મહારાજની ઈચ્છાનુસાર સંસ્કૃતમાં ઈશાવાસ્યોપનિષદ્નું ભાષ્ય, શ્રીમદ્ભગવદ્ગીતા ભાષ્ય, વેદસ્તુતિ તેમજ ગુજરાતીમાં શિક્ષાપત્રી, ભક્તિસિદ્ધિ આદિ ગ્રંથોની રચના કરી, સત્સંગ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગોપાળાનંદ સ્વામીના જીવનના ઈશ્વરદત્ત સામર્થ્યનું દર્શન થઈ શકે તે હેતુથી પુસ્તક રૂપે તેમના જીવનના કેટલાક પ્રભાવી પ્રસંગોને નંદસંતોની વાતોમાંથી પુ. શ્રી કેશવજીવનદાસજી સ્વામીએ સંકલન કરી સરળ ભાષામાં આલેખ્યા છે.