કેટલાક વ્યવહારના કામકાજથી તેમજ ‘શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ’ લખી છપાવવાની પ્રવૃત્તિમાં તે બુક કબાટમાં ધાર્મિક પુસ્તકો સાથે મુકાઈ જતાં તદ્દન એ વાત વિસરાઈ ગઈ.
થોડાક માસ પહેલાં તે બુક મળતાં એ ગુરુઋણ ઉતારવા (છાપી પ્રસિદ્ધ કરવા)ની પ્રવૃત્તિ આદરી. એક-બે શ્રીમંત સત્સંગી સ્નેહીઓને છપાવી દેવાનું કહી તજવીજ કરી; પરંતુ દેશકાળના સંયોગે કોઈ યજમાન મળ્યા નહિ.
અનાદિકાળથી ચાલ્યું આવેલ છે કે ‘‘કવિઓ-પંડિતોના ઘર ઉપર સરસ્વતી દેવીની કૃપા ખૂબ ઉતરે છે; પરંતુ લક્ષ્મીદેવીની અમીદૃષ્ટિ ઓછી હોય છે.’’
ઉપરના કારણે ઘણા વિચારના અંતે તેમજ મારી વૃદ્ધાવસ્થા (૬૯મું વર્ષ ચાલુ થતાં)ના કારણે આ લઘુ પુસ્તક જેમ બને તેમ વહેલું પ્રસિદ્ધ કરવાનું વિચારી શ્રી કાલાવડ સ્વામિનારાયણ મંદિરમાંથી લોન ઉપાડી શ્રીજીકૃપાથી આ પ્રકાશન કરવામાં આવેલ છે, એટલે આ બુકના વેચાણમાંથી ઉત્પન્ન આવે તે શ્રી કાલાવડ સ્વામિનારાયણ મંદિરમાં પાછી તે રકમ જમા કરાવવામાં આવશે.
સ્વામીશ્રીનાં વરદાઈ વચનોથી જન્મેલા હજી મારા માફક મારા ગુરુબંધુઓ સૌરાષ્ટ્રમાં હયાત હશે; પરંતુ તેઓશ્રીનો મને પરિચય નહિ હોવાથી હું તેઓને લખી શકેલ નથી. હવે તે વિશે વિનંતી કરું છું કે કિંચિત્ગુરુઋણમાંથી મુક્ત થવાની આપણને આ સોનેરી તક સાંપડી છે તો યથાશક્તિ આ બુકો ખરીદી સત્સંગમાં તેનો પ્રચાર કરાવે તેમ ઈચ્છું છું.
સદ્ગુરુ સ્વામીશ્રી મહાપુરુષદાસજી સ્વામીશ્રીના અક્ષર આત્માને પ્રસન્ન કરવા કોઈ દાનવીર સત્સંગી બંધુઓ આ બુકો ખરીદી સંતો અને સત્સંગમાં સ્વામીશ્રીનો મહિમા સમજી જિજ્ઞાસુઓને અપાવશે તેને પડતર કિંમતે આપવામાં આવશે એ જ અભ્યર્થના.