આ ઐતિહાસિક હકીકતને પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના સહયોગી, કૃપાપાત્ર અને ગુરુકુલના આદ્ય ટ્રસ્ટી કવિ શ્રી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસનાં વિદુષી સુપુત્રી કુ. ડો. રશ્મિબેન ત્રિ. વ્યાસે (નિવૃત્ત, ઈતિહાસ વિભાગ અધ્યક્ષ, માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજ-રાજકોટ) પોતાની પીએચ.ડી. ડિગ્રી માટેના શોધગ્રંથમાં એક કુશળ લેખક તેમજ સુજ્ઞ સંશોધક તરીકે અંતરના અહોભાવ સાથે સુંદર રીતે ઉપસાવેલ છે. તેમનાં આ પ્રદાન માટે તેઓ સમગ્ર સત્સંગના આશીર્વાદના અધિકારી બન્યાં છે.
‘ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક પ્રદાન’ આ શોધગ્રંથને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય કરી, એમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. ડો. રશ્મિબેન વ્યાસે આ ગ્રંથને પ્રકાશિત કરવાની સંમતિ આપીને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સંપ્રદાયની પુષ્ટિ માટે થતા સાહિત્ય્ પ્રકાશનના કાર્યમાં સહયોગ આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણને વિવિધ કલાના પોષક તરીકે સદૃષ્ટાંત વર્ણવીને એમનો સર્વાવતારી અને સર્વોપરી તરીકે યથોચિત પરિચય આપવાનો પ્રશંસનીય, સફળ પ્રયાસ કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લેખકો અને અનુયાયીઓએ આ ગ્રંથ વસાવી એનો ગહન અભ્યાસ કરવા જેવો છે. સત્સંગની સમજણને સવિશેષ દૃઢ કરે તેવો આ ગ્રંથ છે.
આ શોધ ગ્રંથના ૧૧ પ્રકરણો પૈકી પ્રકરણ ૪, ૫, ૬માં ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય-હેતુથી માંડી સંપૂર્ણ જીવન-કાર્ય દાર્શનિક વિચારસરણી(ફિલસૂફી)ની સાથે ગીતા, ભાગવત, શિક્ષાપત્રી, વચનામૃત, ભક્તચિંતામણિ વગેરે ગ્રંથોના સંદર્ભો સહિત ચર્ચા કરવામાં આવી છે. જે અદ્ભુત અને અનુપમ છે. મુમુક્ષુ માત્રને સુગમતાથી સુલભ થાય એવા શુભહેતુથી આ નિરૂપણને વિષયાંગાનુરૂપ ૩૬ પ્રકરણોમાં સુયોગ્ય રીતે ગોઠવીને ‘સહજાનંદ સ્વામી જીવનદર્શન’ નામના આ પુસ્તક રૂપે પ્રકાશિત કરતાં અંતરમાં આનંદ અનુભવીએ છીએ.